રામ પ્રસાદ 'બિસ્મિલ' ભારત માતાના મહાન સપૂત હતા, જેમણે ભારતની આઝાદી કાજે પોતાના પ્રાણની આહુતિ ધરી દીધી હતી. એમનો જન્મ ૧૧ જૂન ૧૮૯૭ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા શાહજહાંપુર નગરમાં થયો હતો. એમના પિતાશ્રી મુરલીધર, શાહજહાંપુર નગરપાલિકામાં કામ કરતા હતા. ૧૯૨૭ની ૧૯ ડીસેમ્બરે બ્રિટિશ શાસને તેમને ગોરખપુર જેલમાં ફાંસી પર ચઢાવી દીધા હતા.
ભારતની આઝાદીમાં જેમણે પોતાનું રક્ત વહાવીને તિરંગામાં કેસરિયો રંગ શોભાવ્યો છે એવા દેશના ક્રાંતિકારીઓ આપણા દેશની શાન છે. ક્રાંતિકારીઓમાં આવું અણમોલ રતન હતા- પંડિત રામ પ્રસાદ બિસ્મિલ.
માત્ર 30 વર્ષની વયે દેશદાઝ ખાતર તેમણે શહીદી વહોરી લીધી હતી. અંગ્રેજોના દાંત ખાટા કરી નાખનારી કાંકોરી ટ્રેન લૂંટ માટે બિસ્મિલજીને વધુ ઓળખવામાં આવે છે, પણ એ સિવાય તેઓ એક ઉમદા શાયર હતા. તેમણે પોતાની શાયરીમાં દેશભક્તિનો કેસરિયો રંગ એવો ઘોળ્યો હતો કે તેમની રચનાઓ એ સમયે ક્રાંતિકારો માટે પ્રેરક બની રહી હતી. ક્રાંતિકારીઓને જૂસ્સો બૂલંદ બનાવવા માટે બિસ્મિલજીની રચનાઓનું ગાયન થતું હતું. એ એટલે સુધી કે કેટલાય ક્રાંતિકારીઓ બિસ્મિલજીની શહાદત પછી અને પહેલા પણ આ રચના ગાતા ગાતા હસતા હસતા ફાંસીને માચડે ચડી જતા.
9 ઓગસ્ટ 1925ના દિવસે થયેલી કાંકોરીલૂંટે એ દિવસોમાં અંગ્રેજ સલ્તનતને હચમચાવી નાખી હતી. અંતે એ જ ઘટના ઉપર તેમના પર કેસ ચાલ્યો અને કેસ પછી બિસ્મિલજી, અશફાક ઉલ્લા ખા, ઠાકુર રોશન સિંહ, રાજેન્દ્રનાથ લાહિડી સહિતના બધાને ફાંસીની સજા થઈ અને 19 ડિસેમ્બર, 1927ના દિવસે ગોરખપુરની જેલમાં રામ પ્રસાદ બિસ્મિલજીને ફાંસી આપી દેવામાં આવી.
30 વર્ષની વયે તેમણે એવું જીવન જીવ્યું કે જેના કારણે આજે 89 વર્ષ પછી પણ તેમને આપણે ખૂબ ગૌરવપૂર્ણ રીતે યાદ કરીએ છીએ.
બિસ્મિલજીની ઉર્દૂ અને હિંદી બંને ભાષા ઉપર એકસરખી પક્કડ હતી. એ કારણે તેમની રચનાઓમાં પણ એ સુમેળ બરાબર સધાયો હતો.
તેમની સૌથી વિખ્યાત રચના
"સરફરોસી કી તમન્ના અબ હમારે દિલ મેં,
દેખના હે જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ..."
રામ પ્રસાદ બિસ્મિલ ભારતીય ક્રાંતિકારી હતા, તેમણે ૧૯૧૮ના મેનપુરી ષડયંત્ર તથા ૧૯૨૫ની કાકોરી ટ્રેન લૂંટમાં ભાગ લીધો હતો
રામ પ્રસાદ બિસ્મિલનો જન્મ ૧૧ જૂન ૧૮૯૭ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા શાહજહાંપુર નગરમાં થયો હતો. એમના પિતા મુરલીધર, શાહજહાંપુર નગરપાલિકામાં કામ કરતા હતા. બિસ્મિલને હિન્દી ભાષા તેમના પિતા તરફથી શીખવા મળી જ્યારે ઉર્દૂ ભાષાનું જ્ઞાન તેમણે મૌલવી પાસેથી મેળવ્યું હતું. પિતાની મરજી વિરુદ્ધ તેમને અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ આર્ય સમાજ સાથે પણ જોડાયા હતા.
તેમના મિત્ર પરમાનંદની જન્મટીપની સજા વખતે તેમણે "મેરા જીવન" નામની કવિતા લખી હતી.
તે લોકમાન્ય તીલકના અનુયાયી હતા.
યુવાવસ્થાથી જ તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયેલાં હતા. બિસ્મિલે અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને ક્રાંતિકારી સંગઠન હિંદુસ્તાન રિપબ્લીક એસોસિયેશનની સ્થાપના કરી જે પાછળથી હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લીક એસોસિયેશન નામથી જાણીતું થયું.
શહીદ સ્મારક સમિતિ શાહજહાંપુર દ્વારા શહેરના ખીરની બાગ મહોલ્લામાં એક સ્મારકની સ્થાપના કરી છે, જ્યાં બિસ્મિલનો જન્મ થયો હતો. આ સ્મારક અમર શહીદ રામ પ્રસાદ બિસ્મિલ સ્મારક તરીકે ઓળખાય છે.
ભારતીય રેલવે દ્વારા શાહજહાંપુરથી ૧૧ કિમી દૂર પંડિત રામ પ્રસાદ બિસ્મિલ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે.
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૯ ડિસેમ્બર ૧૯૯૭ના રોજ બિસ્મિલની જન્મ શતાબ્દીના ઉપલક્ષમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.
૧૯ ડિસેમ્બર ૧૯૮૩ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા કાકોરી ખાતે કાકોરી કાંડની સ્મૃતિમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે