મંગલ પાંડે - 19 July
ભારતની આઝાદીના પહેલા શહીદ અને એક ધર્મનિષ્ઠ હિન્દુ મંગલ પાંડેને કેટલા લોકોએ યાદ કર્યા હશે?
મંગલ પાંડે બાવીસ વર્ષની ઉંમરે લશ્કરની ૩૪મી રેજિમેન્ટમાં દાખલ થયેલા. એ સમયે બંદૂકમાં જે કારતૂસ વપરાતી તેને લીધે હિન્દુ અને મુસલમાન સૈનિકો નારાજ હતા અને એ કારતૂસનો વિરોધ જ મુખ્ય કારણ હતું ૧૮૫૭ના બળવાનું. શું હતો આખો વિવાદ ચાલો જાણીએ.
લશ્કરી સૈનિકોની પરેડ ચાલી રહી હતી. સામે ઊભેલો ગોરો કેપ્ટન ફટાફટ હુકમ છોડતો હતો. હિંદી સૈનિકો લેફ્ટ... રાઈટ...લેફ્ટ... રાઈટ... કરી રહ્યા હતા. ત્યાં જ એક હિંદી જવાન આંધીની જેમ પરેડના મેદાન પર ધસી આવ્યો. એના એક હાથમાં બંદૂક હતી અને બીજો હાથ હવામાં ઝઝૂમી રહ્યો હતો. એ જોસ ભર્યા સ્વરે સૌને સંબોધવા લાગ્યો:
‘મારા પ્યારા બંધુઓ! મારા દેશ બાંધવો! હવે તો જાગો.... કોઈથી ડરશો નહિ પીછેહઠ કરશો નહિ. મા ભારતીનો લલકાર છે: ઊઠો, જાગો અને દુશ્મનોને હંફાવો... મારો... કાપો... કાપો...!’
વિલાયતથી અંગ્રેજો આપણા દેશમાં આવ્યા. અહીનાં રાજાઓની ખુશામત કરીને વેપાર કરવા લાગ્યા. એમણે આપણા કુસંપનો લાભ લીધો. રાજાઓને અંદરોઅંદર લડાવીને મુલક કબજે કરવા માંડ્યા. લોકો પર જુલમ-ત્રાસ વર્તાવા માંડ્યો. એમના વેપાર-ધંધા છીનવી લીધા અને પછી તો હિંદુસ્તાનના મોટા ભાગના ધણી થઈ બેઠા. આ વાતનેય વરસો વીતી ગયા.
સન ૧૮૫૭ની સાલની આ વાત છે.
લશ્કરની છાવણીઓમાં એવી અફવા ઊડી કે, અંગ્રેજો આપણને વટલાવી નાખવા માગે છે. એમની નવી બંદૂકોની કારતૂસોને ગાય અને સૂવરની ચરબી લગાડેલ છે. આથી હિંદુઓ અને મુસલમાન સૈનિકો ઉશ્કેરાઈ ગયા.
અરબીની વાત સાંભળી સૌથી વધુ ગુસ્સે થનાર હતો મંગલ પાંડે. ઉત્તર ભારતનો ધર્મપ્રેમી બ્રાહ્મણ. સ્વભાવે સાહસિક અને જબરો બહાદુર
એક દિવસ સૈનિકોની પરેડ ચાલતી હતી ત્યાં એ ભરી બંદૂકે ધસી આવ્યો અને ગર્જના કરવા લાગ્યો: ‘અંગ્રેજો આપણા દુશ્મનો છે. એમને મારી નાખો... સબહિંદી ભાઈ ભાઈ! ડરો નહિ... દુશ્મન અંગ્રેજોને શોધી શોધીને ઠાર કરો....’
આ સાંભળી ગોરો કેપ્ટન ગુસ્સે થયો. એક તો મંગલ પાંડે પરેડમાં ભંગાણ પાડતો હતો અને બીજા સૈનિકોને ઉશ્કેરતો હતો એણે સૈનિકોને હુકમ કર્યો કે, આ બાગીને પકડીને મારી પાસે લાવો.’
ગોરા અફસરે ભોંય પર પડ્યા પડ્યા પોતાની કેડમાંથી પિસ્તોલ ખેંચી કાઢીને મંગલ પાંડે તરફ તાકી, પણ એ એનાથી ડર્યો નહિ. તલવાર લઈને એ પેલા ગોરા તરફ ધસી ગયો અને પિસ્તોલનો બાર ચુકાવીને તલવારના એક જ ઘાથી એને ઠાર માર્યો. એટલામાં એક બીજો ગોરો અફસર મંગલ તરફ દોડ્યો, પણ એક હિંદી સૈનિકનું એ તરફ ધ્યાન ગયું. એણે બંદૂકનો કૂંદો પેલા ગોરાના માથા પર જોરથી માર્યો એ પણ ત્યાં જ ઢળી પડ્યો.પરંતુ વાત એટલેથી જ અટકી નહિ. એક ગોરો જનરલ ત્યાં આવી પહોંચ્યો. એણે મંગલ પાંડેને પકડવાનો હુકમ કર્યો, પણ કોઈએ એનો અમલ ન કર્યો. તમામ હિંદી સિપાઈઓએ એને સાફ સંભળાવી દીધું: ‘અમે એ પંડિતને અડકીશું નહિ, તેમ જ એને કોઈ નુકસાન પણ થવા દઈશું નહિ.’
મંગલ પાંડેએ પોતાનો લોહીથી ખરડાયેલો હાથ ઊંચો કર્યો અને ત્યાં ઊભા રહીને હાકલ પાડી: ભાઈઓ! ઊઠો અને મેદાને પડો’... પણ એના શબ્દો પૂરા થાય એ પહેલાં જ એક ગોરો અફસર સૈનિકો સાથે ત્યાં આવી પહોંચ્યો.
આ જોતાં જ મંગલ પાંડેને થયું કે, હવે હું જરૂર પકડાઈ જઈશ એના કરતાં તો મોત હજાર દરજ્જે સારું! આમ વિચાર કરી એણે પોતાની જાતે જ બંદૂકમાંથી ગોળી છોડી. ઘાયલ થઈને મંગલ પાંડે ત્યાં જ ઢળી પડ્યો. એને લશ્કરી હોસ્પિટલમાંથી દાખલ કરવામાં આવ્યો. સારવાર કરવાથી એ બચી ગયો.
મંગલ પાંડે પર લશ્કરી અદાલતમાં કેસ ચાલ્યો. ગોરાઓ સામે ઉશ્કેરણીમાં એની સાથે કોણ કોણ હતું એની માહિતી મેળવવા એને ત્રાસ આપવા માંડ્યો. પણ મંગલ પાંડે જેનું નામ! એણે કોઈના નામ આપ્યા નહિ. છેવટે એને ફાંસીની સજા કરવામાં આવી.
મંગલ પાંડેને ફાંસી દેવા માટે કોઈ હિંદી તૈયાર ન હતો છેવટે કંટાળીને અંગ્રેજોએ કલકત્તાથી ચાર ફાંસીગરોને બોલાવવા પડ્યા. મંગલ પાંડેને મોતનો જરાયે ડર ન હતો. જે દિવસે એને ફાંસી આપવાની હતી એ દિવસે હસતા મોંએ પગે ચાલીને ફાંસીના માંચડા પાસે આવી પહોંચ્યો અને ખુશ મિજાજમાં બોલવા લાગ્યો: ‘ઓ નરાધમ અંગ્રેજો! હું કદી કોઈ ક્રાંતિકારી વીરનું નામ તમને મરતાં સુધી નહિ આપું. જયમા ભારતી..!’ મંગલ પાંડેના ગળે ફાંસો નખાયો.
૧૯૮૪માં ભારત સરકારે તેમની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઘણાં સિનેમા આદિમાં તેમના જીવન અને કાર્યોને દર્શાવાયા છે.
એનફિલ્ડ રાયફલનો ફોટો - ૧૮૫૭માં તેનો બંગાળ સેનામાં સ્વીકાર ન થતા અસંતોષ ફેલાયો.
થોડી જ વારમાં આઝાદીનો એ દીવાનો પ્રભુનો પ્યારો બની ગયો. શહીદ વીર મંગલ પાંડેના બલિદાનથી સન ૧૮૫૭નાં સ્વાતંત્ર્યસંગ્રામના પગરણ મંડાયાં. આ સંગ્રામને સૌથી
પહેલો શહીદ બન્યો મંગલ પાંડે. આજેય આપણો દેશ આઝાદીના આ શહીદ વીર મંગલ પાંડેને યાદ કરે છે!